ભચાઉમાં મોડી રાત્રે 3ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ
કચ્છના ભચાઉ પંથકમાં મોડી રાત્રે 3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. લોકો ઊંઘમાંથી જાગી બહાર દોડી આવ્યા, ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 14 કિમી દૂર નોંધાયું.
ભચાઉ પંથકમાં ફરી ધ્રૂજી ધરતી
કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. ગત મોડી રાત્રે વાગડ વિસ્તારની ધરતી ફરી એકવાર ધ્રૂજી ઉઠતાં સ્થાનિક લોકોમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે આવેલા આંચકાના કારણે અનેક લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, ગત રાત્રે 1 વાગ્યાને 59 મિનિટે કચ્છ પંથકમાં 3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ સમયે સમગ્ર વિસ્તાર ગાઢ નિદ્રામાં હતો ત્યારે અચાનક આવેલા કંપનને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
ભચાઉથી 14 કિલોમીટર દૂર હતું કેન્દ્રબિંદુ
પ્રાપ્ત વિગતો મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 14 કિલોમીટર ઉત્તર-પૂર્વ દિશામાં નોંધાયું હતું. આંચકાનું કેન્દ્ર જમીનની અંદર આશરે 25.7 કિલોમીટર ઊંડાઈએ હોવાનું સામે આવ્યું છે.
ભૂકંપની તીવ્રતા સામાન્ય હોવા છતાં ભચાઉ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સુધી તેના આંચકાનો સ્પષ્ટ અનુભવ થયો હતો. કેટલાક વિસ્તારોમાં ઘરના વાસણો ખખડાયા હતા તો કેટલાક લોકોને પલંગ ધ્રૂજતો અનુભવાયો હતો.
લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા
મધ્યરાત્રિના સમયે અચાનક આવેલા આંચકાના કારણે કેટલાક નાગરિકો ભયના માર્યા પોતાના ઘરની બહાર ખુલ્લામાં દોડી આવ્યા હતા. જોકે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.
કચ્છ જિલ્લો ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર ગણાતો હોવાથી અહીં વારંવાર નાના-મોટા આંચકા અનુભવાતા રહે છે. 2001ના વિનાશકારી ભૂકંપની યાદ આજે પણ લોકોના મનમાં તાજી હોવાથી સામાન્ય આંચકાથી પણ લોકોમાં ભયનો માહોલ સર્જાઈ જાય છે.